વર્તમાન સંદર્ભમાં માનવ-ઉત્કર્ષ માટે શિક્ષાપત્રી (Reference from www.baps.org )
- આપણે નથી પશુ કે નથી માણસ. આપણી પરિસ્થિતિ ત્રિશંકુ જેવી ઊભી થઈ છે.
- લોકોના જીવનમાં મર્યાદા ટળી ગઈ છે. ચોરી, લૂંટ, વ્યભિચાર વગેરે અનેક દુર્ગુણોથી લોકમાનસ સંપૂર્ણ વ્યાપ્ત થયેલું છે.
'અને અમારા આશ્રિત જે પુરુષ અને સ્ત્રીઓ તેણે વ્યભિચાર ન કરવો, જૂગટું(જુ ગાર) આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ગાંજો, ભાંગ, મફર, તમાકુ આદિ કેફ કરનાર વસ્તુ તે ખાવાં નહિ ને પીવાં પણ નહિ.'
આ એક સામાન્ય નિયમ પણ માનવના જીવનમાં કેટલું સુરક્ષણ આપે છે ! સ્વેચ્છાચારમાં દુનિયા એકદમ ખલાસ થઈ જવા આવી છે. કુનીતિથી ને ચારિત્ર્યના ભ્રષ્ટાચારથી પ્રત્યેક પરિવારનું- સમગ્ર સમાજનું અધઃપતન થઈ રહ્યું છે, આજે સમાજનું માનસ વિકૃત બનતું જાય છે. એઈડ્સ રોગ વ્યાપક પ્રમાણમાં વકર્યો છે. એનો કોઈ ઈલાજ નથી. એ મુખ્યત્વે વ્યભિચારમાંથી પરિણમ્યો છે. આ અને આવા બીજા અનેક જાતના ગુપ્ત રોગો, મનની વિકૃતિઓ પણ વ્યભિચારને લઈને થતી હોય છે. શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં આ વ્યભિચાર સામે લાલબત્તી ધરી છે.
માણસને મદદ કરવામાં આવે તો પણ જ્યાં સુધી એ વ્યસનનો ગુલામ છે ત્યાં સુધી એનું જીવન કદી સુખી થવાનું નથી. અને એથી જ પરદેશમાં એલ.એસ.ડી., મોરફીન, મેરીજુ આના વગેરે કેટલાંય માદક દ્રવ્યો નીકળતાં જાય છે ને લોકો એમાં ખુવાર થઈ જાય છે. લોસ-એન્જલસ, સાનફ્રાન્સિસ્કો વગેરે પશ્ચિમ તરફ ઘણા માણસો આવી રીતે 'ડ્રગ એડિક્ટ' બની નશામાં જ ચકચૂર પડ્યા હોય છે અને એથી જ ત્યાંની ગવર્મેન્ટને પણ પ્રશ્ન બહુ જ મોટો છે કે ભાવિ પેઢીનું શું થશે! અત્યારના નવા નવા જુવાનો, કિશોરો એના બાળકો પણ વ્યસનની લતે ચડી જાય છે.
- કાદવ-કર્દમવન્તા જીવનને, સંસારને, અંતરને નિર્મળ કરતી નિર્મળીના શોધનારે શિક્ષાપત્રી સેવવા-વિચારવાની છે. શિક્ષાપત્રી એટલે વ્યવહાર ને સંસારને પરિશુદ્ધતી નિત્ય નિયમાવલિ. - કવિવર ન્હાનાલાલ
- જો દેશના લોકો શિક્ષાપત્રીની આજ્ઞાઓનું પાલન કરે તો દેશમાં ફોજદારી કાયદો, પોલીસ અને અદાલતોની ઓછામાં ઓછી જરૂર પડે. - સરદાર વલ્લભભાઈ પટેલ
- સંવત ૧૮૮૨ના મહા સુદી પંચમીના દિવસે, અમે, સર્વે દેશમાં રહેલા અમારા સર્વે આશ્રિતો પ્રત્યે આ શિક્ષાપત્રી લખીએ છીએ.
- અમારા સર્વે આશ્રિતોએ પોતાના ધર્મની રક્ષા કરનારા, શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અમારા રૂડા આશીર્વાદ વાંચવા.
- શિક્ષાપત્રી લખવાનું કારણ સર્વી એકાગ્ર મને ધારવું.
- તે સર્વે જીવનું હિત કરનારી, પરમ કલ્યાણકારી છે. સર્વે મનુષ્યમાત્રને મનવાંછિત ફળ દેનારી છે.
- જે કોઈ આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે.
- અમારી બુદ્ધિથી સર્વે સત્શાસ્ત્રોનો સાર કાઢીને શિક્ષાપત્રી લખી છે.
- પ્રીતિપૂર્વક આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું. તેનું ઉલ્લંઘન કરીને વર્તવું નહિ.
- શિક્ષાપત્રીમાં અમે લખેલા ધર્મનો વિસ્તાર અમારા સંપ્રદાયના ગ્રંથ થકી જાણવો.
- જે બાઈભાઈ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તે અમારા સંપ્રદાય થકી બહાર છે.
- શિક્ષાપત્રીનો નિત્ય પાઠ કરવો; અને જેમને ભણતાં આવડતું ન હોય તેમણે આદરપૂર્વક આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. વાંચી સંભળાવે એવો કોઈ ન હોય તો તેની નિત્ય પૂજા કરવી.
- શિક્ષાપત્રી દૈવી મનુષ્ય હોય તેને આપવી; પરંતુ જે આસુરી હોય તેને તો ક્યારેય ન આપવી.
- અમારી વાણી અમારું સ્વરૂપ છે – એમ માની શિક્ષાપત્રીને પરમ આદરપૂર્વક માનવી.
- શ્રુતિ-સ્મૃતિએ પ્રતિપાદન કરેલો સદાચાર તે ધર્મ જાણવો.
- સતશાસ્ત્રોએ પ્રતિપાદન કરેલા અહિંસા આદિક સદાચારને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય આ લોક ને પરલોકમાં મહા સુખિયા થાય છે.
- સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે. તે આ લોક ને પરલોકમાં નિશ્ચય મોટું કષ્ટ પામે છે.
- પોતપોતાના વર્ણાશ્રમના ધર્મનો કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો. પરધર્મ, પાખંડધર્મ તેમજ કલ્પિત ધર્મનું આચરણ ન કરવું
- ઘણું ફળ મળતું હોય તો પણ ધર્મે રહિત કાર્ય ન જ કરવું. કારણ કે ધર્મ જ સર્વ પુરુષાર્થ આપનારો છે. માટે કોઈક ફળના લોભે ધર્મનો ત્યાગ ન કરવો.
- પૂર્વે થયેલા મોટા પુરુષોએ જો ક્યારેય અધર્માચરણ કર્યું હોય તો તેનું અનુસરણ ન કરવું. તેમણે જે ધર્માચરણ કર્યું હોય તેનું જ અનુસરણ કરવું.
- ધર્મે રહિત ભગવાનની ભક્તિ કોઈ પ્રકારે ન કરવી. ભગવાનની ભક્તિ ધર્મે સહિત જ કરવી, એ સર્વે સત્શાસ્ત્રનું રહસ્ય છે.
- સત્સંગીએ કંઠમાં તુલસીની બેવડી કંઠી નિત્યે ધારવી.
- નિત્યે સૂર્ય ઊગ્યાથી પ્રથમ જ જાગવું. ભગવાનનું સ્મરણ કરી શૌચવિધિ કરવા જવું.
- પછી એક સ્થાને દાતણ કરવું. પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું.
- પછી શુદ્ધ, કોઈ બીજા આસનને અડ્યું ન હોય અને જેની ઉપર સારી પેઠે બેસાય એવા આસન પર પૂર્વ કે ઉત્તર મુખે બેસવું.
- ભગવાનના પ્રસાદીભૂત ચંદન અથવા ગોપીચંદન વડે લલાટ, હ્રદય અને બે ભુજાએ ચારે ઠેકાણે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું. લલાટમાં તિલક કરવું. લલાટમાં તિલકના મધ્યમાં ગોળ ચાંદલો કુંકુમ વડે કરવો. અન્યત્ર ચંદનનો ચાંદલો કરવો.
- સધવા સ્ત્રીઓએઓ પોતાના ભાલે કેવળ કુંકુમનો ચાંદલો કરવો.
- વિધવા સ્ત્રીઓએ પોતાના ભાલે તિલક કે ચાંદલો ન કરવાં.
- પછી મને કરીને કલ્પ્યાં ચંદન-પુષ્પાદિક ઉપચારથી ભગવાનની માનસી પૂજા કરવી.
- પછી ભગવાનની ચિત્રપ્રતિમાનું આદરથી દર્શન કરીને, નમસ્કાર કરીને પોતાના સામર્થ્ય પ્રમાણે સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવો. પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું.
- વૃદ્ધપણાથી અથવા કોઈ મોટા આપત્કાળથી અસમર્થપણું થઈ જાય તો પોતાની પૂજા-સેવા બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું.
- નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો.
- અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિરે(ગામમાં મંદિર ન હોય તો ઘરમંદિરમાં આરતી-નામ-સંકીર્તન કરવું) જવું.
- ભગવાનની કથાવાર્તા પરમ આદર થકી કરવી ને સાંભળવી.
- અંબરીષ રાજાની પેઠે આત્મનિવેદી ભક્ત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યન્ત સર્વે ક્રિયા કરવી.
- આત્મનિવેદી ભક્તે પાષાણ અથવા ધાતુની ભગવાનની પ્રતિમાની પૂજા દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત ચંદન-પુષ્પ-ફળાદિક વસ્તુથી કરવી. પછી સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવો.
- પછી ભગવાનનાં સ્તોત્ર અથવા ગ્રંથનો પાઠ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે ભગવાનનું નામકીર્તન કરવું.
- પછી ભગવાનને નૈવેદ્ય કરીને તે પ્રસાદીનું અન્ન જમવું.
- આત્મનિવેદી ભક્તે ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું. પત્ર, કંદ, ફળાદિક વસ્તુ તે પણ ભગવાનને અર્પણ કર્યા વિના ન ખાવું.
- આત્મનિવેદી ભક્તોએ સદાય પ્રીતિપૂર્વક ભગવાનની સેવાપરાયણ થવું.
- ભગવાનના સંબંધથી તે આત્મનિવેદી ભક્તની સર્વે ક્રિયા નિર્ગુણ થાય છે. તેથી આત્મનિવેદી ભક્તને નિર્ગુણ કહ્યા છે.
- અહિંસા મોટો ધર્મ છે – એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે.
- કોઈ જીવ-પ્રાણીમાત્રની હિંસા ન કરવી. જાણીને તો જૂ, માંકડ, ચાંચડ આદિક જીવની પણ હિંસા ક્યારેય ન કરવી.
- દેવતા અને પિતૃના યજ્ઞ માટે પણ હિંસા ન કરવી.
- ધનાઢ્ય ગૃહસ્થ સત્સંગીઓએ હિંસાએ રહિત યજ્ઞ કરવા.
- સ્ત્રી, ધન અને રાજ્યની પ્રાપ્તિ માટે પણ કોઈ મનુષ્યની હિંસા કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી.
- કોઈપણ રીતે આત્મહત્યા ન કરવી, તીર્થમાં પણ નહીં, ક્રોધે કરીને કે ક્યારેય કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તો મુંઝાઈને પણ આત્મહત્યા ન કરવી.
- ક્યારેક પોતાથી અથવા કોઈ બીજાથી અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રથી પોતાના કે બીજાના અંગનું છેદન ન કરવું. ક્રોધે કરીને પણ પોતાન કે બીજાના અંગનું છેદન ન કરવું.
- જુગાર રમવો નહિ.
- ચોરી ન કરવી. ધર્મકાર્ય માટે પણ ચોરી ન કરવી.
- ધણિયાતાં કાષ્ઠ, પુષ્પ આદિક વસ્તુ તેના ધણીને પૂછ્યા વિના ન લેવાં.
- કોઈનો વિશ્વાસઘાત ન કરવો.
- પોતાના સ્વાર્થ માટે પણ કોઈ ઉપર મિથ્યા આરોપ ન મૂકવો.
- કોઈની પણ ગુપ્ત વાત કોઈ ઠેકાણે જાહેર કરવી જ નહિ.
- પોતાનો તથા પારકાનો દ્રોહ થાય તેવું સત્ય વચન ક્યારેય ન બોલવું.
- લાંચ ન લેવી.
- ગાળ તો ક્યારેય ન દેવી.
- પોતે પોતાનાં વખાણ ન કરવાં.
- ચોરમાર્ગે પેસવું નહિ અને નીસરવું નહિ.
- ધણિયાતા સ્થાનમાં તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો.
- પોતાને યોગ્ય હોય એવો ઉદ્યમ વ્યવસાય પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો.
- જે મનુષ્ય જેવા ગુણે યુક્ત હોય તેને તેવું કાર્ય વિચારીને જ સોંપવું, પણ જે કાર્યમાં યોગ્ય ન હોય તેને તે કાર્ય ક્યારેય ન સોંપવું.
- પોતાના સેવક(નોકર-મજૂર)ની સામર્થ્ય પ્રમાણે અન્ન-વસ્ત્રે યોગ્ય સંભાવના નિરંતર રાખવી.
- મજૂરની જેટલું ધન-ધાન્ય આપવાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું, પણ તેથી ઓછું ન આપવું.
- દુષ્ટ લોકોની સાથે વ્યવહાર ન કરવો.
- પોતાનો વંશ ને કન્યાદાન છાનું ન રાખવું.
- દરેક વ્યક્તિને ઘટે તેવા વચને કરીને દેશકાળાનુસારે યથાયોગ્ય બોલાવવી, પણ એથી બીજી રીતે ન બોલાવવી.
- જેનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્માન કરવું પણ સમર્દષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ.
- ગુરુ, રાજા, વૃદ્ધ, ત્યાગી, વિદ્ધાન અને તપસ્વી આવે ત્યારે સન્મુખ ઊઠવું, અને એમનું સન્માન કરવું.
- ગુરુ, દેવ ને રાજાની સમીપે તથા સભામાં પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્ત્રથી ઢીંચણને બાંધીને ન બેસવું. (શિષ્ટ વર્તન રાખવું.)
- પોતાના ગુરુ સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો. પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન-વસ્ત્રાદિકે કરીને તેમને પૂજવા.
- ગુરુનું અપમાન ન કરવું.
- શ્રેષ્ઠ મનુષ્ય, લોકને વિષે પ્રતિષ્ઠિત, વિદ્વાન તથા શસ્ત્રધારીનું અપમાન ન કરવું.
- રાજા તથા રાજાના માણસ સંગાથે વિવાન ન કરવો.
- માતા, પિતા, ગુરુ તથા રોગાતુર મનુષ્યની સેવા જીવનપર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી.
- અતિથિની પોતાની શક્તિ પ્રમાણે અન્નાદિકથી સેવા કરવી.
- વિચાર્યા વિના તત્કાળ કાંઈ કાર્ય ન કરવું પરંતુ ધર્મ સંબંધી કાર્ય તો તત્કાળ કરવું.
- પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી.
- દેવકર્મ ને પિતૃકર્મ સામર્થ્ય પ્રમાણે કરવું.
- પોતાની ઉપજ મુજબ જ ખર્ચ કરવો. ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે.
- પોતાની ઉપજ તથા ખર્ચનું નિત્ય રૂડા અક્ષરે પોતે જાતે નામું લખવું.
- કરજ દઈ ચૂક્યા હોઈએ, તો તે છાનું ન રાખવું.
- સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ જમીન ને ધનના લેણદેણનો વ્યવહાર ક્યારેય ન કરવો.
- પોતાના અથવા બીજાના વિવાહ સંબંધી કાર્યમાં આપવા યોગ્ય ધનની વિગત સાક્ષીએ સહિત લેખિત કરવી પણ કેવળ બોલી જ ન કરવી.
- પોતાના સામર્થ્ય પ્રમાણે ગરીબો પ્રત્યે દયાવાન થવું.
- ધનાઢ્ય ગૃહસ્થ સત્સંગીઓએ સુપાત્રને દાન દેવું.
- આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણ દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય અનુસારએ કરવાં.
- ગૃહસ્થ સત્સંગીઓએ સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વપરાશ હોય તેટલા અન્ન-ધનનો સંગ્રહ કરવો.
- જેના ઘરમાં પશુ હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચાર્યપૂળાનો સંગ્રહ કરવો.
- પશુની સેવા થાય તેમ હોય તો જ તે પશુને રાખવા; અને જો સેવા થાય તેમ ન હોય તો ન રાખવાં.
- વિદ્યાદાન એ મોટું દાન છે. માટે સદ્દવિદ્યાનું પ્રવર્તન કરવું.
- કૃતઘ્નીના સંગનો ત્યાગ કરવો.
- ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમિયા (જાદુ-મંત્ર) કરીને ઠગનારો – એ છ પ્રકારના મનુષ્યનો સંગ ન કરવો.
- ભક્તિ અથવા જ્ઞાનનું આલંબન લઈને સ્ત્રી, ધન અને રસાસ્વાદમાં અતિશય લોલુપ થકા પાપ કરતા હોય તેનો સંગ ન કરવો.
- શાસ્ત્રે કહેલો આપદ્દ ધર્મ અલ્પ આપત્કાળમાં ક્યારેય ગ્રહણ ન કરવો.
- કષ્ટ દેનારી એવી કોઈ કુદરતી, મનુષ્ય સંબંધી કે રોગાદિક આપત્તિ આવી પડે ત્યારે, પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું.
- કોઈક કઠણ ભૂંડો કાળ, શત્રુ અથવા રાજાના ઉપદ્રવથી પોતાની લાજ જતી હોય, ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય ત્યારે, પોતાના મૂળ ગરાસનું ગામ તથા વતન હોય તો પણ તેનો તત્કાળ ત્યાગ કરી દેવો; અને જ્યાં ઉપદ્રવ ન હોય તેવા સ્થાનમાં જઈને સુખેથી રહેવું.
- વ્યસનનો ત્યાગ કરવો. ભાંગ, આદિ કેફ કરનારી વસ્તુ ખાવી નહિ અને પીવી પણ નહિ.
- ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનો દારૂ તે દેવાઅને નૈવેદ્ય કર્યાં હોય તો પણ ન પીવાં.
- માંસ તો યજ્ઞનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ ક્યારેય ન ખાવું.
- જે દેવતાને દારુ અને માંસનું નૈવેદ્ય થતું હોય અને જે દેવતાની આગળ બકરાં આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું.
- ગાળ્યા વિનાનું જળ તથા દૂધ ન પીવું. જે જળમાં ઘણાંક ઝીણા જીવ હોય તે જળથી સ્નાનદિક ક્રિયા ન કરવી.
- ચામડાના પાત્રમાં રહેલું પાણી ન પીવું.
- ડુંગળી, લસણ આદિ અભક્ષ્ય વસ્તુ ન ખાવી.
- ઔષધ પણ દારુ તથા માંસે યુક્ત હોય તો તે ક્યારેય ન ખાવું.
- જે વૈદ્યનું આચરણ જાણતા ન હોઈએ તે વૈદ્યે આપેલું ઔષધ પણ ક્યારેય ન ખાવું.
- સ્વચ્છતાના નિયમો :
- લોક અને શાસ્ત્રમાં મળમૂત્ર કરવા માટે વર્જિત કરેલાં જાહેર સ્થાનો (દેવાલય, નદીનો કિનારો, તળાવનો આરો, માર્ગ, વાવેલું ખેતર, વૃક્ષની છાયા, ફૂલવાડી, બગીચા – એ આદિક) માં ક્યારેય પણ મળમૂત્ર ન કરવું, થૂંકવું પણ નહિ.
- દાન તથા દેવ અને ગુરુ સાથે વ્યવહાર :
- ગૃહસ્થાશ્રમી સત્સંગીઓએ પોતાની આવકના ધન-ધાન્ય આદિમાંથી દશમો ભાગ કાઢીને ભગવાનને અર્પણ કરવો. જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વીસમો ભાગ અર્પણ કરવો.
- ધનાઢ્ય ગૃહસ્થોએ મંદિરમાં મોટા ઉત્સવ કરાવવા.
- પોતાના ગુરુને આવતા જાણીને આદરથકી તત્કાળ સન્મુખ જવું અને તેઓ પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું.
- ગુરુ, દેવ અને રાજા એ ત્રણના દર્શને ખાલી હાથે ન જવું.
- પોતાના ગુરુ તથા ભગવાનનાં મંદિરનું દેવું ન રાખવું.
- મંદિર પાસેથી પોતાના વ્યવહાર માટે પાત્ર, ઘરેણાં અને વસ્ત્રાદિક વસ્તુ માગી લાવવાં નહિ.
- ભગવાન, ગુરુ તથા સાધુનાં દર્શન કરવા જવું ત્યારે માર્ગમાં પારકું અન્ન ખાવું નહિ. કારણ કે પારકું અન્ન પુણ્યને હરી લે છે.
- ધનાઢ્ય ગૃહસ્થોએ તીર્થમાં તથા દ્વાદશી આદિક પર્વમાં બ્રાહ્મણ-સાધુઓને જમાડવા.
- પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન-વસ્ત્રાદિકે કરીને પોતાના ગુરુને પૂજવા.
- ધનાઢય ગૃહસ્થ સત્સંગીઓએ હિંસાએ રહિત યજ્ઞો કરાવવા.
- વ્યભિચાર ન કરવો.
- પુરુષોએ પોતાનાઅ સમીપે સંબંધ વિનાની સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો.
- આપતકાળ પડ્યા વિના પોતાની યુવાન મા, બહેન અને દીકરી સંગાથે પણ પુરુષોએ એકાંત સ્થળે ન રહેવું.
- રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો પ્રસંગ કોઈ પ્રકારે પણ ન કરવો.
- પોતાનાં અંગ દેખાય તેવું ભૂંડું વસ્ત્ર ન પહેરવું.
- મંદિરમાં પુરુષોએ સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓએ પુરુષનો સ્પર્શ ન કરવો. મંદિરમાંથી નીસર્યા પછી પોતાપોતાની રીતે વર્તવું.
- પુરુષોએ બાઈ માણસના મુખ થકી જ્ઞાન-વાર્તા ન સાંભળવી. સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો.
- પોતાની પત્નીનું દાન કોઈને ન કરવું.
- પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્રી હોય, નપુંસક હોય તો પણ તેને ઈશ્વરની પેઠે સેવવો. પતિ પ્રત્યે કટુ વચન ન બોલવું.
- સ્ત્રીઓએ પોતાના પતિ સિવાય રૂપવાન, યુવાન અને ગુણવાન અન્ય પુરુષોનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન કરવો.
- પોતાનો પતિ પરદેશ ગયો હોય ત્યારે આકર્ષક વસ્ત્ર-આભૂષણો ન પહેરવાં, પારકા પુરુષના ઘેર બેસવા ન જવું અને હાસ્ય-વિનોદાદિકનો ત્યાગ કરવો.
- ઓઢ્યાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું.
- પોતાની નાભિ, સાથળ અને છાતીને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું.
- વસ્ત્ર પહેર્યા વિના નાહવું નહિ.
- ભાંડભવાઈ જોવા ન જવું.
- સ્વૈરિણી,(સ્વચ્છંદી, મન ફાવે તેમ ફરવાવાળી સ્ત્રી) કામિની અને પુંશ્ચલી (વંઠેલ-વ્યભિચારી સ્ત્રી) એવી નિર્લજ્જ સ્ત્રીઓનો સંગ ન કરવો.
- પોતાનું રજસ્વલાપણું ગુપ્ત ન રાખવું.
- રજસ્વલા સ્ત્રીઓએ ત્રણ દિવસ સુધી કોઈ મનુષ્ય તથા વસ્ત્રાદિકને અડવું નહિ. ચોથે દિવસે નાહીને અડવું.
- વિધવા સ્ત્રીઓએ પતિબુદ્ધિએ કરીને ભગવાનને સેવવા. પોતાના પિતા, પુત્રાદિક સંબંધિની આજ્ઞામાં વર્તવું, પણ સ્વતંત્રપણે ન વર્તવું.
- પોતાના સમીપ સંબંધ વિનાના પુરુષનો સ્પર્શ ક્યારેય ન કરવો. આવશ્યક કાર્ય વિના સમીપ સંબંધ વિનાના યુવાન પુરુષ સાથે ક્યારેય પણ બોલવું નહિ. ધાવણા બાળકને કે કોઈ વૃદ્ધ પુરુષને અડી જવાય તથા બોલાય તેમાં દોષ નથી.
- પોતાના સમીપ સંબંધ વિનાના પુરુષ થકી કોઈ પણ વિદ્યા ન ભણવી.
- આપત્કાળ પડ્યા વિના યુવાન વિધવા સ્ત્રીએ પોતાના સંબંધી યુવાન પુરુષ સંગાથે પણ એકાંત સ્થળે ન રહેવું.
- પુરુષના શૃંગાર રસ સંબંધી વાત વિધવાએ ક્યારેય ન કરવી અને ન સાંભળવી.
- મૈથુનાસક્ત પશુપક્ષી જોવાં નહિ.
- ગર્ભપાત કરનારનો સંગ ન કરવો.
- હોળીની રમત ન રમવી, આભૂષણાદિક ધારણ ન કરવાં, સુવર્ણાદિક ધાતુના તારે યુક્ત ઝીણાં વસ્ત્ર ક્યારેય ન પહેરવાં.
- સધવા સ્ત્રીના જેવો તથા સંન્યાસિની કે વેરાગિણીના જેવો વેષ ન ધારવો. પોતાના દેશ, કુળ અને આચાર વિરુદ્ધ વેષ ક્યારેય ન ધારવો.
- વ્રત-ઉપવાસ કરીને પોતાના દેહનું દમન કરવું.
- પોતાના જીવનપર્યંત દેહનિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો, વિધવા સ્ત્રીઓએ તે ધન ધર્મકાર્યમાં પણ ન આપવું. જો તેથી અધિક હોય તો આપવું.
- ત્યાગીએ સ્ત્રીમાત્રનો સ્પર્શ ન કરવો, સ્ત્રીઓ સંગાથે બોલવું નહિ અને જાણીને સ્ત્રીઓ સન્મુખ જોવું નહિ.
- સ્ત્રીઓની વાત ક્યારેય ન કરવી અને ન સાંભળવી.
- જે સ્થાનમાં સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાને સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું
- દેવતાની પ્રતિમા વિના બીજી સ્ત્રીની ચિત્રની અથવા કાષ્ઠાદિકની પ્રતિમાનો સ્પર્શ ન કરવો. જાણીને તે પ્રતિમાને જોવી પણ નહિ.
- સ્ત્રીની પ્રતિમા ન કરવી.
- સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારીને ઉતારેલા વસ્ત્રને અડવું નહિ.
- મૈથુનાસક્ત પશુપક્ષીને જાણીને જોવાં નહિ.
- સ્ત્રીના વેષધારી પુરુષને અડવું નહિ, તેની સામું જોવું નહિ અને તે સાથે બોલવું નહિ.
- સ્ત્રીને ઉદ્દેશીને ભગવાનની કથા-વાર્તા કીર્તન પણ ન કરવાં.
- પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવું વચન પોતાના ગુરુનું હોય તો પણ ન માનવું.
- સદાકાળ ધીરજવાન, સંતોષે યુક્ત ને માને રહિત રહેવું.
- બળાકાત્કારે કરીને પોતાને સમીપે આવતી સ્ત્રીને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તરત વારવી, પણ સમીપે આવવા દેવી નહિ.
- જો ક્યારેય સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણ નાશ થાય એવો આપત્તકાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની અને પોતાની રક્ષા કરવી.
- શરીરે તૈલમર્દન ન કરવું.
- શસ્ત્ર તથા ભયંકર વેષ ન ધારવાં.
- જે ઘર સ્ત્રી પીરસનારી હોય ત્યાં ભિક્ષા લેવા જવું નહિ.
- જે ગૃહસ્થના ઘરે પીરસનારો પુરુષ જ હોય, તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય તેવા ગૃહસ્થના ઘરે ત્યાગીઓએ જમવા જવું અને તેવું ન હોય તો કાચું અન્ન માગીને પોતાના હાથે રસોઈ કરવી ને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું.
- વેદ આદિ શાસ્ત્રોનો અભ્યાસ કરવો ને ગુરુની સેવા કરવી.
- સ્ત્રીઓની પેઠે સ્ત્રેણ (સ્ત્રીના સંગમાં રાચનાર) પુરુષનો સંગ સર્વકાળે ત્યાગવો.
- સર્વે સાધુઓએ સ્ત્રીઓનાં દર્શન-ભાષણાદિક પ્રસંગનો ત્યાગ કરવો.
- કામ, ક્રોધ, લોભ અને માન આદિક અંતઃશત્રુને જીતવા.
- સર્વે ઇન્દ્રિયોને જીતવી અને રસના ઇન્દ્રિયને તો વિશેષે કરીને જીતવી.
- ધન-દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહિ ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહિ.
- કોઈની થાપણ ન રાખવી.
- ક્યારેય પણ ધીરજનો ત્યાગ ન કરવો.
- પોતાના ઉતારાની જગ્યામાં ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહિ.
- આપત્કાળ પડ્યા વિના, સંઘ-સોબત વિના ક્યારેય એકલા ચાલવું નહિ.
- જે વસ્ત્ર બહુ મુલ્યવાળું હોય, ચિત્ર વિચિત્ર ભાતનું હોય, કસુંબાદિક રંગથી રંગેલું હોય, શાલ-દુશાલા હોય વળી, બીજાની ઇચ્છાથી પોતાને પ્રાપ્ત થયું હોય, તો પણ તેવું વસ્ત્ર પહેરવું-ઓઢવું નહિ.
- ભિક્ષા તથા સભાપ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘરે જવું નહિ.
- ભગવાનની નવ પ્રકારની ભક્તિ વિના વ્યર્થ સમય વિતાવવો નહિ. નિરંતર ભક્તિ કરીને જ સમય વિતાવવો.
- ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી જડ બ્રાહ્મણ તરીકે જેમ વર્તતા હતા તેમ પરમહંસ એવા અમારા સાધુઓએ વર્તવું.
- તાંબૂલ (પાન-પાનબીડું) તથા અફીણ તથા તમાકુ ઇત્યાદિકનું ભક્ષણ ન કરવું.
- ગ્રામ્યવાર્તા કરવી નહિ ને જાણીને સાંભળવી નહિ.
- રોગાદિક આપત્કાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહિ.
- મોટા સંતની આગળ નિરંતર નિષ્કપટપણે વર્તવું.
- કુમતિવાળા દુષ્ટજન ગાળ દે અથવા મારે, તો તેને ક્ષમા આપવી, પણ તેને સામી ગાળ ન દેવી ને મારવું નહિ; અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો.
- કોઈનું દૂતપણું ન કરવું; ચાડિયાપણું ન કરવું, કોઈના ચારચક્ષુ(ગુપ્તચર) ન થવું.
- દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી ને સ્વજનાદિકને વિષે મમતા ન કરવી.
- સૂર્ય ને ચંદ્રમાના ગ્રહણ વખતે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને ભગવાનના મંત્રનો જપ કરવો.
- ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્રસહિત સ્નાન કરીને ત્યાગીઓએ ભગવાનની પૂજા કરવી.
- નિત્ય સાયંકાળે ભગવાનના મંદિરે જવું અને ભગવાનના નામનું ઉચ્ચ સ્વરે કીર્તન કરવું.
- ઉત્સવને દિવસે મંદિરમાં વાજિંત્રે સહિત ભગવાનનાં કીર્તન કરવાં.
- સર્વ એકાદશીઓનું વ્રત આદરથકી કરવું.
- જન્માષ્ટમી તથા શિવરાત્રી આદિક વ્રત આદરથકી કરવાં અને તે વ્રતના દિવસે મોટા ઉત્સવ કરવા. ભાદરવા શુદી ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી તથા આસો વદી ચતુર્દશીને દિવસે હનુમાનની પૂજા કરવી. શ્રાવણ માસમાં મહાદેવનું પૂજન પ્રીતિપૂર્વક કરવું અથવા બીજા પાસે કરાવવું.
- એકાદશી આદિક વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસ અતિશય યત્ને કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો. મૈથુન અને દિવસની નિદ્રાથી ઉપવાસનો નાશ થઈ જાય છે.
- સૂર્ય ને ચંદ્રમાના ગ્રહણ વખતે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને ભગવાનના મંત્રનો જપ કરવો.
- ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્રસહિત સ્નાન કરીને ગૃહસ્થે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું
- જન્મ તથા મરણનું સૂતક પોતપોતાના સંબંધ અનુસાર શાસ્ત્ર મુજબ પાળવું.
- ક્યારેક જાણે અથવા અજાણે નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું.
- આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણ વાનાં દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય એટલાં અનુસારે કરવા.
- દ્વારિકા આદિક તીર્થની યાત્રા પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી.
- સંસ્કૃત અને પ્રાકૃત એવા સદ્દગ્રંથનો અભ્યાસ પોતાની બુદ્ધિ અનુસાર કરવો.
- ચાતુર્માસમાં વિશેષ નિયમ ધારવો. ભગવાનની કથાનું શ્રવણ કરવું, કથા વાંચવી, ભગવાનના ગુણનું કીર્તન કરવું, પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી, મંત્રનો જપ કરવો, સ્તોત્રનો પાઠ કરવો, પ્રદક્ષિણાઓ કરવી, સાષ્ટાંગ નમસ્કાર કરવા – એ આઠ પ્રકારના નિયમ અમે ઉત્તમ માન્યા છે. તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ ચોમાસામાં વિશેષપણે ભક્તિપૂર્વક ધારવો. અસમર્થ હોય તેમણે ફક્ત શ્રાવણમાસમાં વિશેષ નિયમ ધારવો.
- એકાદશી આદિક વ્રતનું ઉદ્યાપન (ઉજવણું) પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું. તે મનવાંછિત ફળ આપનારું છે.
- દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા સ્ત્રી, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી.
- ભગવાન તથા ભગવાનના વરાહદિક અવતારોનું યુક્તિપૂર્વક ખંડન કર્યું હોય એવા ગ્રંથ ક્યારેય ન માનવા અને ન સાંભળવા.
- અજ્ઞાની મનુષ્યની નિંદાના ભયથી ભગવાનની સેવાનો ત્યાગ કરવો નહિ.
- જેનાં વચન સાંભળવાથી ભગવાનની ભક્તિ ને પોતાના ધર્મ થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથાવાર્તા ન સાંભળવી.
- ક્યારેક ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે બીજા કોઈ ક્ષુદ્ર્નાં સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો. (સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરવો.)
- માર્ગે જતાં શિવાલયાદિક દેવમંદિર આવે તો નમસ્કાર કરવા અને આદરપૂર્વક દર્શન કરવાં.
- વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્યએ પાંચ દેવને આદરપૂર્વક માનવા.
- ચાર વેદ, વ્યાસસૂત્ર, શ્રીમદભાગવત, શ્રીવિષ્ણુસહસ્ત્રનામ, શ્રીમદ્દભગવદગીતા, વિદુરનીતિ, સ્કંદપુરાણના વિષ્ણુખંડમાં આવેલું શ્રીવાસુદેવમાહાત્મ્ય, યાજ્ઞવલ્ક્યસ્મૃતિ – એ આઠ સતશાસ્ત્ર અમને ઇષ્ટ (પ્રિય) છે. એ આઠ સતશાસ્ત્ર સાંભળવાં, વિદ્વાનોએ એ સતશાસ્ત્ર ભણવાં, ભણાવવાં તથા કથા કરવી.
- આચાર,વ્યવહાર અને પ્રાયશ્ચિત્તનો નિર્ણય કરવા માટે મિતાક્ષરા ટીકાએ યુક્ત યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિનું વચન સ્વીકારવું.
- સતશાસ્ત્રમાં જે વચન ભગવાનનું સ્વરૂપ, ધર્મ, ભક્તિ તથા વૈરાગ્યનું અતિ ઉત્કર્ષપણું દર્શાવતા હોય તે વચન બીજાં વચન કરતાં મુખ્યપણે માનવાં.
- શ્રુતિ-સ્મૃતિએ પ્રતિપાદન કરેલો સદાચાર તે ધર્મ જાણવો.
- માહાત્મ્યજ્ઞાને સહિત ભગવાનમાં ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી.
- ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહિ તે વૈરાગ્ય જાણવો.
- જીવ, માયા અને ઈશ્વરના સ્વરૂપને રૂડી રીતે જાણવું તેને જ્ઞાન જાણવું.
- જીવ હ્રદયને વિષે રહ્યો છે, તે અણુ સરખો સૂક્ષ્મ છે, ચૈતન્યરૂપ છે, જાણનારો છે, અને પોતાની જ્ઞાનશક્તિ વડે નખથી શિખા પર્યંત સમગ્ર દેહમાં વ્યાપીને રહ્યો છે. અછેદ્ય, અભદ્ય, અજર, અમર ઇત્યાદિક જીવનાં લક્ષણ છે.
- ઈશ્વર(અહીં ઈશ્વર શબ્દ પરબ્રહ્મ પરમાત્માવાચક છે.) સ્વતંત્ર છે, સર્વ જીવને કર્મફળના આપનારા છે.
- માયા ત્રિગુણાત્મિકા છે. તે જીવને દેહ તથા દેહના સંબંધીમાં અહં-મમત્વ કરાવે છે.
- પરબ્રહ્મ, પુરુષોત્તમ એવા ભગવાન તે પરમેશ્વર છે, તે આપણા ઇષ્ટદેવ છે, ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે.
- જેમ હ્રદયમાં જીવ રહ્યો છે તેમ તે જીવમાં અંતર્યામીપણે ભગવાન રહ્યા છે.
- ભગવાનની ભક્તિ સર્વે મનુષ્યે કરવી; તે ભક્તિ કરતાં વિશેષ બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી.
- ભક્તિ ને સત્સંગ – એ બે વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે છે.
- ભગવાનને વિષે ભક્તિ અને સત્સંગ એ જ વિદ્યાદિક ગુણવાળી વ્યક્તિના ગુણવાનપણાનું પરમ ફળ જાણવું.
- ભગવાન સિવાય, મનુષ્ય તથા દેવાદિક જીવ તો ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી.
- સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ થકી વિલક્ષણ એવા પોતાના જીવાત્માને બ્રહ્મરૂપની ભાવના કરીને, પરબ્રહ્મની ભક્તિ સદા કરવી.
- વિશિસ્ટાદ્વૈત મત અમને ગમે છે.
- ભગવાનના ધામમાં બ્રહ્મરૂપે રહીને ભગવાનની સેવા કરવી તે મુક્તિ છે.
અતિવસુન્દરમ્
ReplyDelete